ગુજરાતી ભાષાના સારસ્વત નિરંજન ભગત અંગ્રેજી ભાષાના કવિ ટી.એસ.એલિયટ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરને વાંચવાની શરૂઆત કરે છે. ગૂઢ સાંકેતિક શૈલીમાં લખાયેલી એલિયટની કવિતાઓ પ્રથમ પ્રયાસે સમજવામાં અઘરી લાગતા ભગતસાહેબ એમના વિવેચકોને વાંચે છે. જેમના વિવેચનના આધારે તેઓ એલિયટની મુખ્ય કવિતાઓ નામે ધ વેસ્ટ લેન્ડ અને ફોર કવોર્ટેટ્સનો ઊંડો અભ્યાસ કરવા પ્રેરાય છે અને એ દરમ્યાન આ કાવ્યોને સમજવા હાંસિયાનોંધો એટલે કે માર્જીનલિયા ટાંકતા જાય છે. આ પ્રક્રિયા તેમને કવિતાઓનો આનંદ માણવા સહાયરૂપ બને છે. પછી તો આ કાવ્યો અનેકવાર વાંચી દરેક વખતે નવો કાવ્યાર્થ પામી રસ તરબોળ થતા જાય છે. એવી જ રીતે ટાગોરની કવિતાઓને માણવા માટે પ્રથમ બંગાળી શીખે છે અને ગીતાંજલી તેમજ પદ્યનાટિકા ચિત્રાંગદાનો ઊંડો અભ્યાસ કરે છે. ચિત્રાંગદાથી ભગતસાહેબ પ્રભાવિત થઈ તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે અને એ પણ કૃતિનાં મૂળ બંગાળી છંદ પયારથી મળતા આવતા ગુજરાતી છંદ વનવેલીમાં. સાથે જ આ નાટિકાનો ઊંડાણપૂર્વક કરેલ અભ્યાસલેખ તૈયાર કરે છે જે કૃતિને માણવા માટે ઉપયોગી થઈ રહે છે. ટી. એસ. એલિયટનાં પ્રચલિત કાવ્યો ધ વેસ્ટ લેન્ડ અને ફોર કવોર્ટેટ્સ તેમજ રવીન્દ્રનાથ ટાગોરની પદ્યનાટિકા ચિત્રાંગદા પર ભગતસાહેબની આ માર્જીનલિયા પ્રસ્તુત છે પુસ્તક સ્વરૂપે, જેનું શીર્ષક છે ટેક્સ્ટ્યુઅલ સ્ટડી. નિરંજન ભગતનાં રસિકો અને એમને નિકટતાથી જાણનારા સુજ્ઞ વાચકો માટે એમનાં જ સુવર્ણ અક્ષરોમાં ટંકાએલી નોંધો સાથેનું આ પુસ્તક કલેકટર્સ એડિશન છે.